સમગ્ર ગુજરાતમાંથી ફકત રાજકોટની આઇ.ટી.આઇમાં રૂ. ૮૦ લાખના ખર્ચે સેમસંગ ટેકનિકલ સ્કુલના સહયોગથી વિદ્યાર્થીઓને અપાઈ રહ્યું છે વિશિષ્ટ કૌશલ્ય

ગુજરાતના મોટા શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે. વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની ફોર્બ્સની સૂચિમાં અમદાવાદ અને રાજકોટનો સમાવેશ થઈ રહ્યો છે. ગુજરાત ઓદ્યોગિક, વ્યાપારીક, સેવાકીય અને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. ત્યારે યુવાનોને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તુરંત રોજગાર મળે તેવા હેતુથી કૌશલ્ય નિર્માણના વિવિધ કાર્યક્રમોને સરકારશ્રીએ સફળતાપુર્વક અમલીકૃત કર્યા છે.
રાજકોટ આઈ.ટી.આઈ કે જેની સ્થાપના વર્ષ ૧૯૫૯ માં કરવામાં આવી હતી. તેનો મહત્વનો હેતુ બદલાતા સમયના મૂલ્યને અનુરૂપ રાજ્યના આર્થિક અને સામાજિક રીતે ટકાઉ વિકાસ માટે વ્યાવસાયિક તાલીમ દ્વારા ગુણવત્તા અને ઉદ્યોગને અનુરૂપ તાલિમબધ્ધ રોજગારક્ષમ માનવ સંસાધનનો ઉત્તરોતર વિકાસ કરવાનો છે. આવા તાલિમબધ્ધ રોજગારક્ષમ માનવ સંસાધનના માધ્યમ થકી ગુજરાતના વિકાસને નવી દિશા પ્રદાન કરવામાં આઈ.ટી.આઈએ ખુબજ મહત્વની ભૂમિકા ભજવી છે.
સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા રાજકોટમાં ધમધમતા ઔદ્યોગિક એકમોને કુશળ માનવબળ પૂરૂ પાડવામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા અગ્રિમ ભૂમિકા અદા કરી રહી છે. રાજકોટ આઇટીઆઇની નોંધપાત્ર કામગીરી જોઇએ તો અહીં છેલ્લા છ વર્ષમાં યોજવામાં આવેલા કેમ્પસ પ્લેસમેન્ટ ઇન્ટરવ્યુમાં કૂલ મળી ૮,૬૫૫ તાલીમાર્થીઓને અભ્યાસ પૂર્ણ કરતાની સાથે જ નોકરી મળી ગઇ છે. આ સમયગાળામાં કૂલ ૧૦૦ થી વધુ રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓએ આઇટીઆઇના તાલીમાર્થીઓને નોકરીની તકો પૂરૂ પાડી છે. આટલી તકો ઇજનેરી કોલેજોને પણ ભાગ્યે જ મળે છે !!! રાજકોટ આઇ.ટી.આઇમાં છ વર્ષમાં ૮,૬૫૫ છાત્રોએ અભ્યાસ પૂર્ણ કર્યો અને મોટા ભાગના છાત્રોને તુંરત નોકરી મળી છે.
છેલ્લા અનેક વર્ષોથી આઈ.ટી.આઈ રાજકોટ તેમના તાલીમબદ્ધ વિદ્યાર્થીઓને રોજગારી આપવામાં અગ્રેસર રહી છે. છેલ્લા છ વર્ષમાં રાજકોટ આઈ.ટી.આઈ માં ૨૪૦ જેટલી કંપનીઓના કેમ્પસ ઈન્ટરવ્યુ દ્વારા કુલ ૮,૬૫૫ જેટલા તાલીમાર્થીઓને પ્લેસમેન્ટ આપવામાં આવ્યા છે. આટલી તકો રાજ્યની બીજી કોઇ આઇટીઆઇ દ્વારા આપવામાં આવી નથી. વર્ષ ૨૦૧૪-૧૫ માં ૬૬ કંપનીઓએ ૧૪૫૩ ઉમેદવારો,વર્ષ ૨૦૧૫-૧૬ માં ૦૯ કંપનીઓએ ૫૬૮ ઉમેદવારો,વર્ષ ૨૦૧૬-૧૭ માં ૨૫ કંપનીઓએ ૮૨૫ ઉમેદવારો,વર્ષ ૨૦૧૭-૧૮ માં ૫૩ કંપનીઓએ ૧૮૦૦ ઉમેદવારો તથા વર્ષ ૨૦૧૮-૧૯ માં ૫૦ કંપનીઓએ ૨૦૯૫ જેટલા ઉમેદવારો અને વર્ષ ૨૦૧૯-૨૦ માં ૩૭ કંપનીઓમાં ૧૯૪૧ જેટલા ઉમેદવારો પોતાનો કોર્સ પૂરો થયા બાદ તુરંત જ નોકરી મેળવવામાં સફળ રહ્યા છે. આઈ.ટી.આઈ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓની લાયકાત મુજબ રૂ ૮,૦૦૦ થી રૂ ૧૭,૨૦૦ જેટલા શરૂઆતના પગારધોરણ આપવામાં આવે છે.
બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વધુ પ્રમાણમાં કેમ્પસ ઈન્ટરવ્યુ યોજવાનું મુખ્ય કારણ એ પણ છે કે સૌરાષ્ટ્રના યુવાનો મહેનતું, ધીરજવાન, કર્મઠ, ઈનોવેટીવ અને લીડરશીપની ક્વોલીટી ધરાવતા હોય છે જે કંપનીના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. તેથી બહુરાષ્ટ્રીય કંપનીઓ આવા યુવાનોને પ્રથમ પસંદગી આપે છે.
આઇ.ટી.આઈ રાજકોટના પ્રિન્સીપાલ શ્રી નિપુણ રાવલે આઇ.ટી.આઈના કેમ્પસમાં સ્થપાયેલી લેબ વિષે વિગત આપતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના આઈ.ટી.આઈમાં માત્ર રાજકોટના કેમ્પસમાં પ્રથમ વાર રૂ. ૮૦ લાખના ખર્ચે ઓદ્યોગીક સામાજિક જવાબદારી અન્વયે સેમસંગ ટેકનિકલ સ્કુલની શરૂઆત કરવામાં આવી રહી છે. જેનું નામ “Samsung ARISE – Samsung Advance Repair & Industrial Skill Enhancement” રાખવામાં આવ્યું છે. જેમાં HHP – Hand Held Products જેવી કે મોબાઈલ ફોન, ટેબલેટ, ગેઝેટ્સ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોના અત્યાધુનિક મોડેલો દ્વારા સંપૂર્ણપણે પ્રેક્ટીકલ તાલિમ આપવામાં આવે છે. આ ઉપરાંત, RACHA – Refrigeration, Air coediting and Home Appliances જેમાં ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એર કંડીશનર, માઈક્રોવેવ ઓવન ના સ્ટ્ર્ક્ચર, બિલ્ડીંગ, સમારકામ, રીપેરીંગ જેવી તમામ બાબતોનું તાજેતરમાં જ બહાર પાડેલા નવી ટેકનિકવાળા મોડેલનું સંપૂર્ણપણે બારીકાઈભર્યૂં પ્રેક્ટીકલ શિક્ષણ આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈલેકટ્રીકલ અને ઈલેકટ્રોનિક્સના વિદ્યાર્થીઓના શૈક્ષણિક મુલ્યમાં વધારો કરવામાં આ ટેકનિકલ સ્કુલ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. ઉપરાંત, આ સ્કુલ દ્વારા દરેક બેચના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને, મહિલાઓને તથા દિવ્યાંગોને સ્કોલરશીપ આપવામાં આવે છે.
માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા લેબમાં તાલીમ લેતો છાત્ર ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થી રાકેશ ચૌહાણ જણાવે છે કે, હું ઈલેક્ટ્રોનિક-મિકેનિક્સનો કોર્ષ કરૂ છું. મારા પપ્પા કારખાનાની ભઠ્ઠીમાં મજુરી કરીને મને ભણાવી રહ્યા છે. આઈ.ટી.આઈ.નો અભ્યાસ કર્યા બાદ કોલેજનો અભ્યાસ કરનાર વ્યક્તિ કરતા વધુ આવક મળી શકે છે. આ કોર્ષ કરવાથી મારી આવડત અને જ્ઞાનમાં વધારો કરીને પ્રતિષ્ઠાવાન નોકરી આસાનીથી મેળવી શકીશ. તેમજ વિદેશમાં રોજગારી મળવાની તકો પણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે જેનો મને લાભ મળી શકે છે.
આ અંગે રાજ પરમાર વધુમાં જણાવે છે કે, આઈ.ટી.આઈ. નવું શીખવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. જે જ્ઞાનની સાથે રોજગારી અને સ્વરોજગારી પુરી પાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા અમને ફ્રીજ, વોશિંગ મશીન, એર કંડીશનર, માઈક્રોવેવ ઓવન જેવા સાધનોના લેટેસ્ટ મોડેલના રીપેરીંગની પ્રેક્ટીકલ તાલીમ મળે છે જેનાથી અમારા જ્ઞાનમાં વધારો થાય છે. આ ઉપરાંત, આ તાલીમ લેબના તાલીમાર્થીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. તેમજ રાજ્ય સરકારશ્રીનો “Earn while you Learn”નો ઉદેશ્ય પણ પૂર્ણ થાય છે.

Related posts

Leave a Comment